Sunday, 3 April 2011

આજકાલના સમાચાર

Janmabhoomi Pravasi . Mumbai . Sunday 3 April 2011 . Page 5

આજકાલ છાપામાં નિરાશાજનક અને નકારાત્મક ખબરો વધુ વાંચવા મળે છે.ક્યારેક એવો વિચાર પણ આવી જાય છે કે શું છાપાઓનો હવે આજ તો વ્યવસાય નથી રહ્યો ને? - નકારાત્મક પ્રકારના સમાચાર જ હાઈલાઈટ કરવાના? જો એમ જ હોય તો પૂરો વાંક પ્રિન્ટમિડિયાનો જ કાઢવો યોગ્ય નથી. તેઓ એ જ પીરસે છે જે પ્રજા આચરે છે, જે બધું આજકાલ વાસ્તવમાં બની રહ્યું છે અને જે પ્રજાને વાંચવું ગમે છે. ખેર આજે માણસ જાત અને તેના સ્વભાવ અને આજના યુગમાં તેની બદલાયેલી જીવન જીવવાની રીત વિષે વાતચીત કરવી છે.


થોડા સમય પહેલા વાંદ્રા સ્ટેશનની પૂર્વ બાજુએ ગરીબનગર નામની ઝૂંપડપટ્ટીમાં લાગેલી ભીષણ આગના સમાચારો છાપાઓમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યા હતાં.મારી ઓફિસ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવી હોવાથી, જે સાંજે એ આગ લાગી ત્યારે વાંદ્રા સ્ટેશન થઈને જ મારો રોજનો રસ્તો હોવાથી, મેં એ ભયંકર આગ પ્રત્યક્ષ જોઈ હતી અને મારા જીવનમાં જોયેલી એ સૌથી મોટી આગ હતી. પણ એને હું વિનાશક કહું કે નહિં એ અંગે આજે પણ હું અવઢવમાં છું. કારણ જણાવું.ગરીબ નગર નામની આ ઝૂંપડપટ્ટીમાં એ આગ દરમ્યાન બે હજારથી વધુ ઝૂંપડા બળીને રાખ થઈ ગયાં. ઝૂંપડા એટલે પાછા એકલદોકલ જર્જરિત એકલું ઘર હોય તેવાં ઘરોનો સમૂહ નહિં,પરંતુ ચાર-પાંચ માળની પતરા કે પાકી ઇંટોની બનેલી ઉંચી ઇમારતો (બિલ્ડીંગ્સ?). એ બધી ઇમારતો આ અગન જ્વાળાઓમાં બળીને સફાચટ્ટ થઈ ગઈ. આ ઇમારતોના દાદરા એટલા સાંકડા અને નાના કે ચોથા માળેથી સામાન્ય સંજોગોમાં પણ ઉતરવું હોય તો અતિ સાચવીને નીચે ઉતરવું પડે જ્યારી અહિં તો વિકરાળ આગ જેવી પરિસ્થિતીમાંયે બે હજાર ઝૂંપડામાં રહેનાર કે કામ કરનાર (ઝૂંપડાઓમાં અનેક કારખાના કે ફેક્ટરીઓ પણ હતાં) દસેક હજાર કરતાં પણ વધુ લોકો ચમત્કારિક રીતે સફળતાપૂર્વક પોતપોતાના ઝૂંપડાઓમાથી નીચે ઉતરી ગયા અને એકોએક જણ બચી ગયા.ભગવાનની કેવી મહેર? એક પણ મૃત્યુ આ ત્રણ ચાર કલાક સુધી, ત્રીસ કરતાંયે વધુ અગ્નિશામક બંબાવાળાઓથી પણ કાબૂમાં ન આવેલી આગ દરમ્યાન ન નોંધાયું. ભારત ના લોકો કદાચ ઇશ્વરને જાપાનના લોકોથી વધુ પ્રિય હશે! એટલે જ ભૂકંપ અને સુનામી દરમ્યાન હજારોના પ્રાણ ભગવાને હરી લીધા પણ વાંદ્રાની ગરીબનગરની ઝૂંપડપટ્ટીની એ માનવસર્જિત હોનારતમાં એક પણ જાન ન ગઈ! કે પછી સાચા અર્થમાં આ દુર્ઘટના 'માનવસર્જિત' હોવાથી ઇશ્વરને તેની જાણ જ નહિં હોય! આથી તે એક પણ પ્રાણ લેતા ચૂકી ગયો. આ સમગ્ર આગકાંડ પૂર્વનિયોજિત હતું એવું મારું માનવું છે.અને એમાં અસર પામેલા દરેકને સરકારે પચ્ચીસ હજાર રૂપિયાની મદદ જાહેર કરી છે.સરકારને ક્યાં રૂપિયા પોતાના ખિસ્સામાંથી કાઢવા છે? તેની તિજોરી તો મારા-તમારા જેવા નિયમિત અને પ્રમાણિક કરદાતા નાગરિકોના પસીનાની કમાઈમાંથી વસૂલેલા ટેક્સના રૂપિયાથી ભરેલી છે એ તેણે ખાલી કરવાની છે.અને કોને મદદ? જેઓએ પોતાના ઘર ગેરકાયદેસર જમીન પર ગેરકાનૂની રીતે બાંધ્યા હતાં તેમને.વોટબેન્ક પોલિટીક્સ કે પછી બીજું કોઈ ષડયંત્ર જે કંઈ પણ આ દુર્ઘટના પાછળ હશે તે થોડા સમય બાદ ભૂલાઈ જશે અને બળી ગયા એ ઝૂંપડા ફરી પાછા તેમને જગાએ ઉભા થઈ જશે.


કેવા કાવાદાવાઓ રચી જાણે છે માણસ. અને તે સમજે છે કે તેનાથી ચતુર બીજું કોઈ નથી.તે ખોટું કરશે તો કોઈ જોનાર, પકડનાર નથી.પણ ઉપર વાળો બધું જોતો હોય છે અને તે જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે.સુનામી જેવો તમાચો કે ધરતીકંપ જેવી લપડાક પળવારમાં માનવે વર્ષોની મહેનતથી બનાવેલ સર્જનનો સર્વનાશ કરી નાંખે છે.


બીજા એક અતિ ચર્ચાસ્પદ બનેલ સમાચાર હતાં અરૂણા શાનબાગ નામક એક નર્સના જેમના વિષે મેં એકાદ વર્ષ અગાઉ પણ અહિં 'બળાત્કર' વિષય પરના બ્લોગમાં લખ્યું હતું. તેમને યુથેનેશિયા આપવું જોઈએ કે નહિં એ અંગે અનેક લોકોએ પોતપોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા અને એ અંગે સર્વોચ્ચ ન્યાયાલયે પોતાનો ફેંસલો પણ સુણાવ્યો જેની ચર્ચા ફરી ક્યારેક જુદા બ્લોગ થકી કરીશું,પણ અહિં મારે માનવ સ્વભાવની જ વાત કરવી છે. આજથી સાડત્રીસ વર્ષ પહેલા સોહનલાલ વાલ્મિકી નામના નરાધમ વિકૃત નરપિશાચ વોર્ડબોયે સોળ વર્ષની નર્સ અરૂણા શાનબાગ પર દુષ્ક્રુત્ય આચર્યું. તેને સજા થઈ માત્ર સાત વર્ષની અને અરૂણા બિચારા હજી સબડે છે એક વેજિટેબલ જેવું જીવન જીવી(?). સાડત્રીસ મિનિટ પણ આપણે એકધારું એક જગાએ બેસી કંટાળી જતા હોઈએ છીએ જ્યારે આ બાઈ છેલ્લા સાડત્રીસ વર્ષથી કોમામાં, કે.ઈ.એમ. હોસ્પિટલની એક ઓરડીમાં એક જ બેડ પર પેલા રાક્ષસના દુષ્ક્રુત્યની સજા ભોગવી રહી છે ન મરીને,ન જીવીને.અને મેં વાંચ્યું કે એ રાક્ષસ સાત જ વર્ષની સજા ભોગવ્યા બાદ જેલમાંથી છૂટીને દિલ્હી ચાલી ગયો અને નામ બદલીને આજે પણ ત્યાં કોઈક હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે નોકરી કરે છે.માણસને આટલું હિચકારૂં કૃત્ય કરતા ઇશ્વરનો જરા જેટલો પણ ડર નહિં લાગતો હોય? આવી વ્યક્તિને તો પ્રજાએ મળીને જ ભરપૂર માર મારી પૂરો કરી નાંખવો જોઇએ જેથી સમાજમાં એક દાખલો બેસે અને બીજું કોઈ આવું કૃત્ય કરવાનું વિચારે પણ નહિં.


ગયા સપ્તાહમાં જ બીજા પણ એક સમાચાર વાંચવામાં આવ્યા જેનાથી મને રોષનિશ્રિત નિરાશાની લાગણી થઈ.પાંચ વર્ષ પહેલાં મુંબઈના એક શ્રીમંત મિલમાલિકના પુત્રે વહેલી સવારે દારૂના નશામાં પોતાની ગાડીમાં પચાસેક વર્ષની મહિલાને લિફ્ટ આપી અને પછી ગાડીમાં જ તેના પર બળાત્કાર ગુજાર્યો.બીજા દિવસે તે મહિલાએ પોલિસ કેસ નોંધાવ્યો અને આ નબીરાની ધરપકડ થઈ પણ મહિના માસમાં જ તે વગ અને પૈસાના જોરે જામીન પર છૂટી ગયો અને ત્યાર બાદ તે મહિલા ત્રણ વર્ષ સુધી એવી ગાયબ થઈ ગઈ હતી કે તેનું પગેરું પોલિસ પણ શોધી શકી નહોતી. ક્યાં ગઈ હતી એ બાઈ ? શું તેને કોઈએ ધાકધમકી આપી ડરાવી હશે? અને હવે આ ઘટનાના પાંચ વર્ષ પછી પુરાવાના અભાવે અભિષેક કાસલિવાલ નિર્દોષ સાબિત થઈ છૂટી ગયો છે.ફરી પાછો તે મુંબઈની સડકો પર દારૂ પીને ગાડી ચલાવશે અને કોઈક શિકાર હાથમાં આવ્યો તો તેની પણ પેલી બાઈ જેવી જ દુર્દશા કરશે.


ક્યારે માણસ ડરશે આવા ગુનાઓ કરવાથી? દરેક મનુષ્ય બીજા મનુષ્યનો વિચાર કરી શું ન જીવી શકે? આવો દિવસ ક્યારે ઉગશે?

દિગંબરભાઇ સ્વાદિયા 

પ્રિય વિકાસ નાયક, તમારા ૧૯મી માર્ચના બ્લોગને ઝરૂખેથીમાં ચકલી પરનો બ્લોગ વાંચી મેં અને મુંબઈના જ જુદા જુદા ભાગોમાં રહેતાં મારા મિત્રો અને સગા-સંબંધીઓએ મળીને ૨૫ ચકલી ઘર લેવાનું નક્કી કર્યું છે. આ માળા જેવા તૈયાર ચકલીઘર અમે યોગ્ય સ્થળોએ ગોઠવી ચકલી જેવા નાનકડા જીવને બચાવવાના અભિયાનમાં સહભાગી થવા ઇચ્છીએ છીએ.
તમારું આ વિશે વિચારવું અને આ દિશામાં પ્રયત્નો આવકાર્ય અને અભિનંદનીય છે.

- દિલીપ પંચમિયા

પ્રિય વાચક મિત્રો,
ચકલી વિશેના બ્લોગમાં રસ લેવા અને તૈયાર મળતા ચકલીઘર ખરીદી યોગ્ય સ્થળે ગોઠવવાનું નક્કી કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. 


ચકલીઘર વિશે માહિતી તમનેwww.mysparrowhome.blogspot.comઆ વેબસાઈટ પરથી અથવા 25968313 આ નંબર કે પછી ‘mysparrowhome@gmail.com’ આ ઇમેલ આઈડી મળી શકશે.
PRESS Coverage . Janmabhoomi Pravasi . Mumbai . Sunday 3 April 2011 . Page 5
  Double click on the "Janmabhoomi Pravasito see larger image of the news article

No comments:

Post a Comment